Site icon Just Gujju Things Trending

વૃદ્ધાશ્રમમાં મૂકી ને ત્યાંના સંચાલક ને પૂછ્યું કે તમે પિતા ને ઓળખો છો? સંચાલક નો જવાબ સાંભળીને દીકરાના આંખમાંથી…

પોતાને સંતાનમાં એકનો એક દીકરો હતો. અને એકનો એક દીકરો હોવાથી તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. દીકરો હવે સંપૂર્ણપણે મોટો થઈ ચૂક્યો હતો. તેના માટે સારું પાત્ર જોઇને તેની સગાઈ પણ નક્કી કરી દેવામાં આવી.

જોતજોતામાં લગ્ન પણ આવી ગયા અને લગ્ન કરી દીધા બાદ દીકરો અને વહુ બને રાજીખુશીથી રહેવા પણ લાગ્યા. આ જોઇને માતા પિતા બંને ખુશ હતા.

થોડા સમય પછી દીકરાનું વર્તન માતા-પિતા પ્રત્યે અજીબ થવા લાગ્યું. તેમ છતાં માતા પિતા એક શબ્દ પણ બોલતા નહિ અને જેમ દીકરો રાખે તેમ રહેતા.

દીકરો ધંધામાં પણ નિપુણ હતો, જ્યારે તે ઓફિસે જાય ત્યારે પાછળથી પણ દીકરાની વહુ તેના માતા-પિતાને ખૂબ સંભળાવતી પરંતુ માતા-પિતા દીકરાને કોઈ જ વાત કરતા નહીં અને એમનામ સહન કર્યે જતાં.

એક દિવસ અચાનક દીકરાની માતાની તબિયત ખરાબ થઈ ગઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને થોડા જ દિવસમાં તેણે દમ તોડી દીધો. દીકરાએ તેની માતાની મરણવિધી પતાવી અને ફરી પાછો ધંધામાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.

થોડા દિવસ પછી તેને તેના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનો નિર્ણય કરી લીધો, એક દિવસ સવારે પોતાના પિતાને તે વૃદ્ધાશ્રમમાં મૂકી અને પોતે ઘર ભણી જઈ રહ્યો હતો અને થયું કે લાવ પત્ની ને ફોન કરી જોઉં. એટલે પત્ની ને ફોન કરી ને કહી દીધું કે પિતાજીને તેના મુકામે મૂકી દીધા છે અને હવે હું સીધો ઘરે આવું છું.

પત્નીએ તરત જ સામે પૂછ્યું કે દિવાળીની રજામાં બાપુજી ઘરે તો નહીં આવી જાય અને એ જરા પૂછ્યું કે કેમ? તેના પતિ એ જવાબ આપ્યો કે એ તો પૂછવાનું જ રહી ગયું. મનોમન તેને પણ આ વાત ખટકવા લાગી એટલે કહ્યું કે સારું ચાલ હું હજી બહાર જ આવ્યો છું તો ફરી પાછો જઈ ને પૂછતો આવું. અને જો તે આવવાના હોય તોપણ હું કંઇક ને કંઇક બહાનું બતાવી દઉં છું જેથી તે આવવાનું માંડી વાળે.

પત્ની સાથે વાત કરીને ફોન કાપ્યો ફરી પોતાની ગાડીમાંથી નીચે ઉતરી ને વૃદ્ધાશ્રમ બાજુ ચાલવા લાગ્યો.

વૃદ્ધાશ્રમ આવ્યું તો તેણે વૃદ્ધાશ્રમ માં પ્રવેશતા પ્રવેશતા જોયું કે વૃદ્ધાશ્રમના જે સંચાલક હતા તેની સાથે જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એ રીતે તેના પિતા ખૂબ જ હળી મળીને વાતો કરતા હતા.

એટલે આ બધી વસ્તુ જોઈને તે થોડું આશ્ચર્ય પામી ગયો, હજુ પિતાને કંઈ પૂછવા માટે ત્યાં જાય ત્યાં તેના પિતાકોઈ કારણોસર તેના રૂમમાં ચાલ્યા ગયા.

એટલે તેને વૃદ્ધાશ્રમના સંચાલકને સવાલ પૂછવાનો મોકો મળી ગયો તરત જ તેને વૃદ્ધાશ્રમના સંચાલક પાસે જઈને પૂછ્યું કે શું તમે આ બાપાને પહેલા ક્યારેય મળેલા છો? તમે ઓળખો છો? એટલે વૃદ્ધાશ્રમના સંચાલકે માથું ધુણાવીને હા પાડી. હજુ તો વૃદ્ધાશ્રમ ના સંચાલક કંઈ બોલવા જાય તે પહેલા દીકરો બોલ્યો કે કઈ રીતે તમે એને ઓળખો છો?

એટલે સંચાલકે જવાબમાં કહ્યું કે હું આ સજ્જનને લગભગ છેલ્લા ૨૫ થી પણ વધુ વર્ષથી ઓળખું છું. આજથી લગભગ ૨૮ વર્ષ પહેલા તેઓ અહીં રહેલા અનાથાશ્રમમાં એક અનાથ છોકરાને દત્તક લેવા માટે આવ્યા હતા ત્યારથી હું તેના પરિચયમાં છું. અને અમારા સંબંધો ઘણા ગાઢ બની ચૂક્યા છે.

વૃદ્ધાશ્રમના સંચાલકનો આ જવાબ સાંભળીને દીકરાના હાથમાંથી ગાડીની ચાવી અને બીજા હાથ માં થી મોબાઈલ પડી ગયા. તે તરત જ ચોધાર આંસુએ રડવા લાગ્યો. તેના માતા-પિતા સાથે કરેલા વર્ષો જૂના વ્યવહાર તેને આજે એક સાથે બધા સામે દેખાવા લાગ્યા. પરંતુ હવે અફસોસ કરીને કંઈ જ થવાનું હતું નહીં.

એક જગ્યાએ ખુબ જ સરસ વાક્ય લખેલું હતું તે આ સ્ટોરી ને તદ્દન અનુરૂપ આવે તેવું છે જેમાં લખ્યું હતું કે જે દિવસે વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે તે દિવસથી મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવવાની કોઈ જરૂર નથી.

આ લેખ તમને પસંદ પડ્યો હોય તો શેર કરીને અમારો ઉત્સાહ વધારજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version