દીકરા-વહુએ વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલાવાનો બનાવ્યો હતો પ્લાન, પણ પિતાએ દીકરાને બોલાવીને એવું કહ્યું કે દીકરો...

શહેરના પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો ધરાવતા શેઠ મગનલાલ સવારના નરમ તડકામાં પોતાના લીલાછમ લૉનમાં એકલા ટહેલી રહ્યા હતા. તેમના મનમાં વિચારોનું ઘોડાપૂર આવ્યું હતું. પત્નીના અવસાન પછી, તેમણે ધંધાની જવાબદારી મોટા દીકરા જયેશને સોંપી દીધી હતી અને હવે તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. તેમનો મોટા ભાગનો સમય તેમના લાડકવાયા પૌત્ર અને પૌત્રી સાથે રમવામાં પસાર થતો હતો, જેમાં તેમને અપાર શાંતિ મળતી હતી.

પરંતુ, છેલ્લા કેટલાક સમયથી તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્યો હતો. જ્યારે ડૉક્ટરે તેમને એક ગંભીર બીમારીનું નિદાન કર્યું, ત્યારથી તેમના વહુ અને દીકરાનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. જો કે ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે આ બીમારી ચેપી નથી અને માત્ર તેમની તબિયતનું ધ્યાન રાખવાની અને સમયસર દવા આપવાની જરૂર છે, તેમ છતાં જયેશ અને તેની પત્ની મીનાને ડોક્ટરની વાત પર વિશ્વાસ નહોતો બેઠો.

તેઓએ તેમના બાળકોને દાદા પાસે રમવા જવાની કે તેમની નજીક જવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી. એટલું જ નહીં, મગનલાલ માટે ભોજન પણ નોકર દ્વારા મોકલવામાં આવતું હતું. વહુ અને દીકરાના આવા વર્તનથી દુઃખી અને ચિંતાતુર મગનલાલ લોનમાં આમતેમ ફરી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ અનાયાસે જયેશના રૂમની બારી પાસેથી પસાર થયા, ત્યારે તેમના કાને વહુ-દીકરાની વાતચીત સંભળાઈ.

મીના જયેશને કહી રહી હતી, "હું તમને ચોખ્ખું કહી દઉં છું. ભલે ડોક્ટર ગમે તે કહે, પણ હું મારા અને મારા બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ જાતનું જોખમ લેવા તૈયાર નથી. તમે પિતાજીને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવી દો. જેટલા પૈસા ભરવા પડે તેટલા ભરી આપો. આપણે અઠવાડિયામાં એકાદ વાર તેમને મળવા જઈશું."

જયેશે પત્નીની વાતમાં સુર પુરાવતા કહ્યું, "હા મીના, તારી વાત સાચી છે. હું આજે રાત્રે જ બાપુજી સાથે આ વિશે વાત કરીશ."

મગનલાલ આટલું સાંભળતા જ વધુ ત્યાં ઊભા રહી શક્યા નહીં. આગળની વાત સાંભળવાની તેમનામાં હિંમત નહોતી રહી. તેમનું હૃદય જાણે થીજી ગયું હતું. તેઓ તરત જ પોતાના રૂમમાં ગયા અને પલંગ પર બેસી પડ્યા. તેમના ધબકારા ખૂબ જ વધી ગયા હતા.

રાત્રે મગનલાલ પોતાના રૂમમાં ભોજન લીધા પછી ખુરશી પર બેસીને ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. ત્યારે તેમનો દીકરો જયેશ ધીમા પગલે અને નીચું મોઢું રાખીને રૂમમાં પ્રવેશ્યો. તેના પિતાએ પોતાની જાતને એક કઠોર નિર્ણય માટે તૈયાર કરી લીધી હતી.

"આવ, આવ બેટા જયેશ, આવ," મગનલાલે પ્રેમથી કહ્યું અને ખુરશી ખાલી કરી આપી. પોતે પલંગ પર બેઠા અને પૂછ્યું, "શું વાત છે બેટા? તું કેમ આટલો ચિંતામાં દેખાય છે? તારું મોઢું કેમ ઉતરી ગયું છે?"

જયેશે ગભરાતા અવાજે કહ્યું, "હું તમારી સાથે એક અગત્યની વાત કરવા આવ્યો છું."

પિતાએ હળવાશથી જવાબ આપ્યો, "બેટા, હું પણ તારી સાથે જ એક વાત કરવા માંગતો હતો. સારું થયું તું જ અહીં આવી ગયો, નહીંતર હું તને બોલાવવાનો જ હતો."

જયેશે ખુરશી બાપુજીની નજીક ખસેડતા કહ્યું, "ના બાપુજી, પહેલા તમે કહો. શું વાત છે?"

મગનલાલે ગંભીર સ્વરે કહ્યું, "બેટા, વાત એમ છે કે ડોક્ટરે મારી બીમારીને ઘણી ગંભીર ગણાવી છે. અને મારી એવી ઈચ્છા છે કે મારું બાકીનું જીવન મારા જેવા જ બીમાર લોકો સાથે, જેમને ક્યાંયથી કોઈ સહાય મળતી નથી એવા વૃદ્ધોની સેવામાં પસાર કરું."

બોલતા બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો. આ વાત સાંભળતા જ જયેશના મનમાં આનંદનો પાર ન રહ્યો. તેના પિતાએ સામે ચાલીને તેના મનની વાત કહી દીધી હતી! પરંતુ બહારથી તેણે નાટક કરતા કહ્યું, "તમે શું કહી રહ્યા છો બાપુજી? તમને અહીં રહેવામાં શું તકલીફ છે?"

ત્યારે મગનલાલે દૃઢતાથી જવાબ આપ્યો, "મને અહીં રહેવામાં શું તકલીફ હોય? મેં આખી જિંદગી મહેનત કરીને આ મકાન, દુકાન અને પૈસા બનાવ્યા છે. એટલે મને આ ઘરમાં રહેવામાં કોઈ તકલીફ નથી. પરંતુ તને કહેતા પણ મને દુઃખ થાય છે કે હવે તું તારી પત્ની અને બાળકો માટે રહેવાની બીજી વ્યવસ્થા કરી લેજો."

"કારણ કે મેં આ બંગલામાં એક વૃદ્ધાશ્રમ બનાવવાનો નિર્ણય લીધો છે. અને એવા નિરાધાર વૃદ્ધો કે જેમને પોતાના ઘરમાંથી પ્રેમથી કે પછી જબરદસ્તીથી કાઢી મૂકવામાં આવે છે, તેમને હું અહીં શાંતિથી રહેવા દઈશ. અને હું પણ મારા બંગલામાં શાંતિથી રહી શકીશ. અને હા, તું પણ કંઈક કહેવા માંગતો હતો, શું વાત હતી? બોલને બેટા..."

રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી જયેશ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ભારે મને ચાલ્યો ગયો.

જો આ વાર્તા તમને ગમી હોય તો જરૂરથી બીજા લોકો સાથે શેર કરજો અને કોમેન્ટમાં 1 થી 10 વચ્ચે રેટિંગ આપવાનું ના ભૂલશો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team