પિતાએ હળવાશથી જવાબ આપ્યો, “બેટા, હું પણ તારી સાથે જ એક વાત કરવા માંગતો હતો. સારું થયું તું જ અહીં આવી ગયો, નહીંતર હું તને બોલાવવાનો જ હતો.”
જયેશે ખુરશી બાપુજીની નજીક ખસેડતા કહ્યું, “ના બાપુજી, પહેલા તમે કહો. શું વાત છે?”
મગનલાલે ગંભીર સ્વરે કહ્યું, “બેટા, વાત એમ છે કે ડોક્ટરે મારી બીમારીને ઘણી ગંભીર ગણાવી છે. અને મારી એવી ઈચ્છા છે કે મારું બાકીનું જીવન મારા જેવા જ બીમાર લોકો સાથે, જેમને ક્યાંયથી કોઈ સહાય મળતી નથી એવા વૃદ્ધોની સેવામાં પસાર કરું.”
બોલતા બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો. આ વાત સાંભળતા જ જયેશના મનમાં આનંદનો પાર ન રહ્યો. તેના પિતાએ સામે ચાલીને તેના મનની વાત કહી દીધી હતી! પરંતુ બહારથી તેણે નાટક કરતા કહ્યું, “તમે શું કહી રહ્યા છો બાપુજી? તમને અહીં રહેવામાં શું તકલીફ છે?”
ત્યારે મગનલાલે દૃઢતાથી જવાબ આપ્યો, “મને અહીં રહેવામાં શું તકલીફ હોય? મેં આખી જિંદગી મહેનત કરીને આ મકાન, દુકાન અને પૈસા બનાવ્યા છે. એટલે મને આ ઘરમાં રહેવામાં કોઈ તકલીફ નથી. પરંતુ તને કહેતા પણ મને દુઃખ થાય છે કે હવે તું તારી પત્ની અને બાળકો માટે રહેવાની બીજી વ્યવસ્થા કરી લેજો.”
“કારણ કે મેં આ બંગલામાં એક વૃદ્ધાશ્રમ બનાવવાનો નિર્ણય લીધો છે. અને એવા નિરાધાર વૃદ્ધો કે જેમને પોતાના ઘરમાંથી પ્રેમથી કે પછી જબરદસ્તીથી કાઢી મૂકવામાં આવે છે, તેમને હું અહીં શાંતિથી રહેવા દઈશ. અને હું પણ મારા બંગલામાં શાંતિથી રહી શકીશ. અને હા, તું પણ કંઈક કહેવા માંગતો હતો, શું વાત હતી? બોલને બેટા…”
રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી જયેશ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ભારે મને ચાલ્યો ગયો.
જો આ વાર્તા તમને ગમી હોય તો જરૂરથી બીજા લોકો સાથે શેર કરજો અને કોમેન્ટમાં 1 થી 10 વચ્ચે રેટિંગ આપવાનું ના ભૂલશો.